ક્યારેક જીવન એક સ્પર્ધા સમાન લાગવા લાગે છે. દરેક બાજુ દોડભાગ મચેલી છે. ક્યારેક કોઇ આપનાથી આગળ નીકળી રહ્યું છે તો કોઇ આપને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. આવામાં મન અશાંત અને નિરાશ થવા લાગે છે. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે આપ અનેક પ્રયત્નો કરતા હોવ પણ સફળતા ન મળે. આવામાં સહુથી વધુ નિરાશ પોતાની જાતથી જ થવાય છે. આપણને પોતાની ક્ષમતાઓ પર પણ શંકા થવા લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિમાં નિરાશા સાંપડે છે ત્યારે મન આકુળ-વ્યાકુળ થઇ જાય છે અને એક અનિચ્છિત બોજ આપણા મન પર હાવી થઇ જાય છે.
આપણું ચિત્ત દુનિયામાં ચોંટતું નથી, પોતાની જાત પ્રત્યે અપરાધ ભાવના ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં અનેક લોકો સાથેના સંબંધો તૂટવા લાગે છે, જીવનનો મોહ પણ છૂટી જાય છે. આવા સમયે જો કોઇ વસ્તુ આપણને બળ પુરુ પાડી શકે છે તો તે છે આધ્યાત્મ. જો આપણે આધ્યાત્મમાં વિશ્વાસ રાખીશું તો કદાચ જીવનમાં ફરી ક્યારેય આવી પરિસ્થિતિઓનો સામનો નહીં કરવો પડે. વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં એક પ્રસંગ આવે છે જે આપણને આત્મબળ અને આધ્યાત્મ બંનેથી પૂર્ણ કરે છે. હનુમાન લંકામાં સીતાની શોધ કરી રહ્યા હતા, બધા ભવનો જોઇ લીધા, બધા માર્ગો ખૂંદી વળ્યા, ખૂણે ખૂણો તપાસી જોયો પણ સીતાનો ક્યાંય પત્તો ન લાગ્યો.
એકવાર રાવણના ખંડમાં સૂતેલી મંદોદરીને જોઇને તેમને તેઓ સીતા હોવાનો ભ્રમ થયો, હનુમાનજી ખુશ થઇ ગયા કે સીતા મળી ગઇ, પણ બાદમાં તેમણે વિચાર કર્યો અને અનુમાન લગાવ્યું કે સીતા આટલી નિશ્વિંતતાથી સૂઇ જાય તેવી સ્ત્રી નથી. જ્યારે તેમને અન્ય કોઇ સ્થળે પણ સીતા ન દેખાઇ ત્યારે તેમના મનમાં વિચાર જન્મ્યો અને તેઓ એમ વિચારીને નિરાશ થઇ ગયા કે ક્યાંક રાક્ષસોએ સીતાને મારી તો નહીં નાંખી હોય ને! તેમણે એક જગ્યા પર બેસીને વિચાર કર્યો કે જો સીતા નહીં મળે તો લંકામાં રહીને જ સમગ્ર જીવન વ્યતિતિ કરી લઇશ.
બસ તેમના મનમાં આ વિચાર આવ્યો અને આધ્યાત્મ જાગ્યો. હનુમાનજીએ બાદમાં વિચાર કર્યો કે જો લંકામાં જ રહેવું હોય તો પછી અંતિમ શ્વાસ સુધી પ્રભુનું કામ શા માટે ન કરું. આમ વિચારતા જ તેમના મનમાં ફરીથી રોમાંચ ભરાઇ ગયો, નિરાશા દૂર થઇ. તેમણે વિચાર કર્યો કે હાર માનતા પહેલા એકવાર ફરીથી સીતાની શોધ કરવી જોઇએ. હવે તોએ ફરીથી અભિયાન પર નીકળી ગયા અને અશોક વાટિકા પહોંચી ગયા. જ્યાં તેમને સીતાના દર્શન થયા. આ પ્રસંગ આપણને શીખવે છે કે અસફળતાને સામે જોઇને જ આપણા મનમાં ઘોર નિરાશાનો વિચાર આવી જાય છે. નબળા લોકો આ નિરાશામાં પોતાની જાતને ડૂબાડી દે છે અને ફરી એકવાર બધું સમાપ્ત થઇ જાય છે. હનુમાન જેવા યોગી પુરુષ આવા સમયે આધ્યાત્મનો માર્ગ અપનાવે છે.
નિરાશા મનમાં હોવી થઇ જાય તે પહેલા જ પોતાની ઇન્દ્રિઓમાં ફરીથી ઉત્સાહ ભરી લઇએ. હાર માન્યા પહેલા એકવાર ફરીથી પ્રયાસ કરવાનો વિચાર કરીએ. આપણે આ વિચારનો ત્યાગ ક્યારેય ન કરવો જોઇએ. અંતિમ પ્રયાસ બાકી છે તેવો ભાવ હંમેશા પોતાના મનમાં જાળવી રાખવો જોઇએ. જો આમ થશે તો દરેક ક્ષેત્રમાં આપની જીત થશે.
Mahesh Pokar
No comments:
Post a Comment